સિદ્ધિં પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે ।
સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા ॥ ૫૦॥
સિદ્ધિમ્—સિદ્ધિ; પ્રાપ્ત:—પ્રાપ્ત; યથા—જેવી રીતે; બ્રહ્મ—બ્રહ્મ; તથા—તેવી રીતે; આપ્નોતિ—પ્રાપ્ત કરે છે; નિબોધ—સાંભળ; મે—મારી પાસેથી; સમાસેન—સંક્ષેપમાં; એવ—ખરેખર; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; નિષ્ઠા—દૃઢપણે સ્થિર; જ્ઞાનસ્ય—જ્ઞાનનું; યા—જે; પરા—ગુણાતીત.
BG 18.50: હે અર્જુન, મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ. હું તને સમજાવીશ કે જેણે સિદ્ધિ (કર્મની સમાપ્તિમાં) પ્રાપ્ત કરી છે, તે દિવ્ય જ્ઞાનમાં દૃઢપણે સ્થિર રહીને કેવી રીતે બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકે છે.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
સૈન્દ્ધાંતિક જ્ઞાનનું વાંચન કરવું એ એક વિષય છે પરંતુ વ્યાવહારિક રૂપે તેની અનુભૂતિ કરવી એ ભિન્ન વિષય છે. એમ કહેવાય છે કે સારા તુક્કાઓ તો રુપિયાના ડઝન મળી જાય, પણ તેના પર કામ ન કરો તો તેની ઉપજ પૈસાથી પણ ઓછી રહે. સૈદ્ધાંતિક પંડિતોના મસ્તિષ્કમાં ભલે સર્વ શાસ્ત્રોનું જ્ઞાન ભરેલું હોય, છતાં પણ અનુભૂતિથી વંચિત હોઈ શકે. જયારે બીજી બાજુ, કર્મયોગીને શાસ્ત્રોના સત્યની સાધના કરવાના અવસરો દિવસ-રાત પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે, કર્મયોગનું અવિરત પાલન આધ્યાત્મિક જ્ઞાનની અનુભૂતિમાં પરિણમે છે. જયારે વ્યક્તિ કર્મનું પાલન કરતાં નૈષ્કર્મ્ય-સિદ્ધિની પૂર્ણતા અથવા તો અકર્મણ્યતાની સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે, ત્યારે અનુભવ દ્વારા દિવ્ય જ્ઞાન પ્રાપ્ય બની જાય છે. તે જ્ઞાનમાં સ્થિર થઈને, કર્મયોગી ભગવદ્દ-સાક્ષાત્કારની પરમ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આ કેવી રીતે થાય છે તે અંગે શ્રીકૃષ્ણ આગામી થોડા શ્લોકોમાં સમજાવે છે.